Saturday, 18 June 2011

ગાંધી ચિંધ્યા માર્ગે બહુ ચાલ્યા, NOW CHANGE THE ROAD

ભ્રષ્ટાચારની સામે અભિયાનો અને મુહિમના નામે દેશમાં બાબા રામદેવ અને અણ્ણા હજારે દ્વારા અનશનના ત્રાગાં ચાલી રહ્યાં છે. ગાંધીજી પાસેથી દેશને અનશનના ત્રાગાં અને હડતાલોનો વારસો મળ્યો છે. તેને બાબા રામદેવ અને અણ્ણા હજારે સારી રીતે જાળવી શકે તેમ લાગતું નથી. બાબા રામદેવ યોગાસનથી અનશનના સાતમા દિવસે આઈસીયૂમાં પહોંચી ગયા છે. અણ્ણા હજારેએ 15મી ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. જો આમ નહીં થાય તો..અણ્ણા દેશની બીજી આઝાદીની લડત 16મી ઓગસ્ટથી લડવાના છે. તેના માટે પણ અનશનના ત્રાગાંની તેમણે ધમકી આપી છે.

સૌથી પહેલી વાત તો એ કે દેશને અત્યારે જન લોકપાલ બિલ અને વિદેશમાં જમા કાળા ધનને દેશમાં પાછું લાવીને ભ્રષ્ટાચારને રોકવાની પ્રાથમિકતા છે કે આજે લગભગ 68 રૂપિયે લીટર પેટ્રોલ ભરાવતા આમ આદમીના ખિસ્સાને માર પડવો ઓછો થાય તેવી કોઈ મુહિમની જરૂરત છે? દેશમાં ગરીબી અને ગરીબ બંને વધી રહ્યાં છે, ત્યારે એ વાત તો કબૂલ કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર તેના મુખ્ય કારણ છે, પરંતુ 30 કરોડ લોકોના મધ્યમ વર્ગને મોંઘવારીના મારમાંથી રાહત થાય તે માટે ઈમરજન્સીમાં અનશનના ડોકટરો અણ્ણા હજારેએ અને બાબા રામદેવે કોઈ ઈલાજ કરવો જોઈતો હતો. પણ અણ્ણા અને રામદેવના ત્રાગાંમાં દેશના લોકો મોંઘવારીના ભારને ભૂલી ગયા છે. બાબા રામદેવે 400 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વિદેશમાંથી આવી જશે, તો એક રૂપિયાના પચાસ ડોલર થઈ જશેના દીવા સ્વપ્નો દેખાડયા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે એવો કોઈ દેશ નથી અને એવો કોઈ શાસક નથી કે જે કાળા ધન અને ભ્રષ્ટાચારને રોકી શકે. કારણ કે ભ્રષ્ટાચાર તો અર્થશાસ્ત્રના વિદ્વાન ચાણક્યના વખતમાં પણ હતો અને તેથી આગળ વધીને રામ રાજ્યમાં પણ તે હોવાનું નકારી શકાય તેમ નથી. ત્યારે આવા દીવસ્વપ્નોમાં રાચવા કરતા લોકોએ વ્યવહારીકતા અપનાવીને મોંઘવારીના મહાદાનવને હણવા માટે શસ્ત્રો સજ્જ કરવાની જરૂર છે.

પરંતુ બાબા રામદેવ અને અણ્ણા હજારેના આંદોલનની અનશનના ત્રાગાં કરવાની રીત ખોટી હોઈ શકે છે, પરંતુ તેમના બંનેના મુદ્દાઓમાં ઘણો દમ છે. તેમને લાગે છે કે ભારતમાં લોકશાહી છે અને તેઓ લોકતાંત્રિક રીતે પોતાના આંદોલન ચલાવે છે. તો તેમના ખ્યાલ તેમને મુબારક પણ ભારતમાં લોકશાહી ચાલતી નથી, અહીં તો ટોળાશાહી, ઠોકશાહી અને ડંડાશાહી ચાલે છે. ત્યારે 4 જૂન, 2011ની રાત્રે દેશ આખાએ જોઈ લીધું કે યુપીએ સરકારના મંત્રીઓએ ખેલ કરીને એક ભોટ બાબાને ભોળવી નાખ્યો. રામલીલા મેદાનમાં સરકારના ઈશારે પોલીસ તંત્રે રાવણલીલા આચરી. પંડાલમાં ઉંઘમાં રહેલા મહિલા અને બાળકો પર ડંડાઓ વરસાવવામાં આવ્યા. બાબા રામદેવ બાર ફૂટ ઉંચા મંચ પરથી કૂદકો મારીને લોકોમાં પહોંચ્યા, ત્યાંથી તેઓ મહિલાના કપડાં પહેરીને ભાગવાની કોશિશ પણ કરી. પરંતુ તેમા તેઓ સફળ થયા નહીં.

પરંતુ વિચાર કરો કે આ દેશના કોઈ વિસ્તારમાં શાહી ઈમામ જેવા કોઈ બની બેઠેલા મુસ્લિમ નેતા કે તેમની સામાજીક-ધાર્મિક સંસ્થાઓ કોઈ વિરોધ આંદોલન કરતી હોત અને તેમના આંદોલનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવાની શક્યતાથી પોલીસ કાર્યવાહી કરવાની ભારતની કોઈપણ સરકારે હિંમત દાખવી હોત. જો આવી હિંમત દાખવવામાં આવી હોત, તો તેના પ્રત્યાઘાત તરીકે દેશભરમાં હિંસક દેખાવો અને તોફાનો માટે સરકારે તૈયાર રહેવું પડત.

અરે દિલ્હીમાં ઉભા રહીને શાહી ઈમામે કહ્યું હતું કે તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો એજન્ટ છે. આ એ આઈએસઆઈની વાત છે કે જે ભારતમાં ભાંગફોડ અને આતંકવાદ માટે જવાબદાર હોવાનું અવાર-નવાર સરકારી એજન્સીઓ જણાવી ચુકી છે. પરંતુ આ જ સુધી શાહી ઈમામને સરકારે હાથ પણ લગાવ્યો નથી. બીજી તરફ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, આ વાત ભારતનું બંધારણ અને ભારતની સંસદ માને છે. તેમ છતાં કાશ્મીર ભારતનું અંગ ન હોવા સંદર્ભના નિવેદન બાદ માનવાધિકારવાદી કાર્યકર્તા અરુંધતિ રોય અને કાશ્મીરના અલગતાવાદી કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાની સામે ફરીયાદ થવા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. જો કે સરકારે અરુંધતિ રોય, સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક માટે દેશભરમાં કાશ્મીર સંદર્ભે અનાપ-સનાપ બોલવા માટે કોન્ફરન્સો કરવાની મંજૂરી પણ આપી હતી. જો કે ભારતના લોકોએ જાગરૂકતા બતાવીને ગિલાની, મિરવાઈઝ અને યાસીનને જૂતાવાળી કરી હતી. તેને કારણે જ આવી કોન્ફરન્સો ભારતમાં અન્ય જગ્યાએ યોજાતી હમણા તો બંધ થઈ છે. માઓવાદીઓને બંદૂકો સાથેના ગાંધીવાદી ગણાવતા અરુંધતિના હાસ્યાસ્પદ નિવેદન છતાં તેના તરફ સરકારનું વલણ ક્યારેય તીખું થયું નથી.

પણ બાબા રામદેવે અનશન ચાલુ રાખવાની વાત કરી કે તેમના રામલીલા મેદાન ખાતેના પંડાલ પર સોનિયા ગાંધીના દોરી સંચાર તળે ચાલતી મનમોહન સિંહની સરકાર દળ-કટક સાથે ત્રાટકી હતી. શું બાબા રામદેવનો ગુનો એટલો છે કે તેઓ પોતાને દેશભક્ત હોવાનું જણાવી રહ્યા છે? તેઓ ભ્રષ્ટાચાર દૂર કરીને વિદેશમાંથી કાળું ધન પાછું લઈ આવવા માટે કાયદો બનાવવાની વાત કરી રહ્યાં છે, તે તેમનો ગુનો છે? શું તેઓ અનશન ચાલુ રાખીને કોઈ ભારત પર હુમલો કરવાનો હોય તેવું મોટું દુષ્કૃત્ય કરી રહ્યાં છે(મિત્રો ભારતની સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અને મુંબઈ પર હુમલો કરનાર કસાબ જેલમાં બિરયાનીની જ્યાફત ઉડાવી રહ્યાં છે.)? શું બાબા રામદેવ હિંદુ સન્યાસી છે, તે સરકારની અને સોનિયાની નજરમાં ગુનો છે? ભગવામાં આતંકવાદ જોનારા ચિદમ્બરમને રામદેવના ભગવા કપડાથી વાંધો છે? શું બાબા રામદેવે ભારત ભક્ત રહેવું જોઈએ? શું બાબા રામદેવે ભ્રષ્ટાચાર દૂર કરવાની અને કાળું ધન વિદેશમાંથી દેશમાં લાવવાની વાત ન કરવી જોઈએ? આટલા બધાં સંગીન ગુના કરવા બદલ તો બાબાને આઈસીયૂમાં જ નહીં, આ સરકારે તો અફઝલ અને કસાબ પહેલા ફાંસીના માંચડે ચઢાવી દેવો જોઈએ. કારણ કે આ દેશના સત્તાના મઠાધીશોને ભારતના દુશ્મન આઈએસઆઈ, અફઝલ ગુરુ અને કસાબથી જેટલો ખતરો નથી, તેટલો ખતરો બાબા રામદેવ અને અણ્ણા હજારે જેવા માથા ફરેલા ત્રાગાબાજોથી છે.

જો કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાતો સાંભળતા સાંભળતા દેશને 63 વર્ષ પૂરાં થયા. પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને હડતાલોના ત્રાગાંથી આ દેશની એકપણ સમસ્યાનું સમાધાન થયું નથી. શું ગાંધી ચિંધ્યા માર્ગે ભ્રષ્ટાચાર દૂર થયો, કાળું ધન વિદેશથી પાછું આવ્યું, સંપૂર્ણ ક્રાંતિ થઈ શકી, આતંકવાદ દૂર થયો, કોમવાદને નાથી શકાયો, મોંઘવારી દૂર થઈ, દેશદ્રોહીઓની નશ્યત થઈ શકી, ભૂખમરો, ગરીબી, અજ્ઞાનતા, બેકારી દૂર થઈ શકી? ભારતનો આટલા લાંબા સમયનો અનુભવ તો કહે છે કે ભારતમાં ગાંધી ચિંધ્યા માર્ગે થયેલા આંદોલનોથી તો દેશની સમસ્યાઓ વધારે ગુંચવાઈ અને ગંભીર બની છે. ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું કોઈ કારણ બાકી રહી જાય છે?

જે વ્યક્તિઓને આ દેશના રાજકારણીઓએ ખૂબ કોસ્યા છે, તેવા ક્રાંતિવીર સાવરકર અને ભગતસિંહ જેવાં ક્રાંતિકારીઓના માર્ગે ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જલિત કરવાનો માર્ગે ચાલવાનું કેમ કોઈને દેખાતું નથી? સાવરકરે જે રસ્તો સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને બતાવ્યો હતો, તે માર્ગ પણ ચાલવાનો સમય પાકી ગયો છે. પરંતુ આના માટે નેતૃત્વ કોણ લે? લોકોને સાવરકર ચિંધ્યા માર્ગે આગળ વધવાનો દિશાનિર્દેશ કોણ આપે? આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે ક્યારે ચાલશે? ગાંધી ચિંધ્યા માર્ગે 63 વર્ષ ચાલ્યા, જો આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે માત્ર ત્રણ વર્ષ ચાલે, તો દુનિયાને પોતાની શક્તિથી નમાવવાની હેસિયત રાખે છે.

No comments:

Post a Comment